અમદાવાદ: અમદાવાદમાં પ્રસિદ્ધ સેલિબ્રિટી એસ્ટ્રોલોજર, અંકશાસ્ત્રી અને લેખક ચિરાગ દારૂવાલાની નવીનતમ પુસ્તક”યોર કમ્પ્લિટ ફોરકાસ્ટ 2026″ (Your Complete Forecast 2026)નું ભવ્ય વિમોચન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત બુક લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યના અનેક અગ્રણી મહાનુભાવો અને જાણીતી હસ્તીઓએ ખાસ હાજરી આપી હતી.
આ ખાસ પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ એસ્ટ્રોલોજર સ્વ. બેજાન દારૂવાલાની એક વિશેષ વીડિયો બાઈટ (Video Byte) પણ રજૂ કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી. આ વીડિયોમાં સ્વ. બેજાન દારૂવાલાજી ચિરાગ દારૂવાલાને પોતાની જ્ઞાન પરંપરા અને જ્યોતિષ વિદ્યાના ભવ્ય વારસાને સફળતાપૂર્વક આગળ વધારવા માટે આશીર્વાદ અને પ્રેરણા આપતા જોવા મળ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરતા સેલિબ્રિટી એસ્ટ્રોલોજર ચિરાગ દારૂવાલાએ જણાવ્યું હતું કે, “જ્યોતિષશાસ્ત્ર એ માત્ર ભવિષ્યવાણી કરવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે માનવ જીવનને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને સાચી દિશા અને સકારાત્મક માર્ગ આપતી એક મહાન વિદ્યા છે.”
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ચિરાગ દારૂવાલાના જ્યોતિષ ક્ષેત્રના ઊંડા જ્ઞાન અને સમાજ પ્રત્યેના તેમના સકારાત્મક યોગદાનની વિશેષ પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ચિરાગ દારૂવાલાને આ નવીન પુસ્તક બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ પુસ્તક વર્ષ 2026માં લોકોના જીવનમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે.
આ ભવ્ય સમારોહમાં ગુજરાતના ઉચ્ચ હોદ્દેદારો, અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ ગુજરાતી ફિલ્મ અને ટેલિવિઝન જગતના જાણીતા કલાકારો-સેલિબ્રિટીઓએ ઉપસ્થિત રહીને ચિરાગ દારૂવાલાને આ નવીનતમ સિદ્ધિ બદલ વધામણી આપી હતી.

