જીવદયાના મહામૂલા સંદેશ સાથે ગુજરાતી ફિલ્મ ‘જીવ’નું પ્રમોશન શરૂ, જૈન ધર્મના આચાર્ય તથા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબ ના આશીર્વાદ લીધા

અમદાવાદ :ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમ વખત જીવદયાના વિષય પર બનેલી હૃદયસ્પર્શી ફિલ્મ ‘જીવ’ (JEEV) ના પ્રમોશનની શરૂઆત ધાર્મિક અને પવિત્ર માહોલમાં કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો અને ટીમ દ્વારા જૈન ધર્મના મહાન રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના પારસધામ જૂનાગઢ મુકામે ખાસ આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફિલ્મની ટીમે ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કરી મહાદેવ ભગવાનના આશીર્વાદ પણ લીધા.

આ પાવન પ્રસંગે ફિલ્મના મુખ્ય અભિનેતાઓ ધર્મેન્દ્ર ગોહિલ અને સની પંચોલી તથા પ્રોડ્યુસર વિકી મહેતા સહિત ફિલ્મની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી, જેમણે રાષ્ટ્રસંત નમ્રમુની પાસેથી આશીર્વાદ મેળવીને ફિલ્મના પ્રચાર અભિયાનનો શુભારંભ કર્યો હતો.

ફિલ્મ ‘જીવ’ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે, જે વેલજીભાઈ મહેતાના પ્રેરણાદાયી જીવન અને તેમના જીવદયાના કાર્યને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે.’જીવ’ ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના દરેક વર્ગના લોકોના દિલમાં દરેક પશુ-પંખી પ્રત્યે કરુણા અને દયાની ભાવના પ્રજ્વલિત કરવાનો છે.

 આ પ્રેરક અને ભાવનાત્મક ફિલ્મ 21મી નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની ટીમે જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ સાથે પ્રચાર શરૂ કરવો એ તેમના માટે ગર્વની વાત છે, અને તેઓ આશા રાખે છે કે આ ફિલ્મ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સફળ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *