અમદાવાદ : પ્રાચીન જ્ઞાનના સંશોધક અને પરિવર્તનના દ્રષ્ટાવાન સંશોધક ડૉ. પંડિત કાશીનાથ મિશ્રા દ્વારા આજે અમદાવાદના પિરાણા રોડ સ્થિત શ્રી નિમ્બાર્ક નારાયણ તીર્થધામ પ્રેરણા પીઠ ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ડૉ. મિશ્રાએ પ્રાચીન ગ્રંથોના આધારે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ, ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવનાઓ અને કળિયુગના અંત બાદ આવનારા નવા યુગના સંકેતો વિશે અત્યંત ચોંકાવનારા અને મહત્વપૂર્ણ ખુલાસાઓ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે 600 વર્ષ પૂર્વે પંચસખા દ્વારા રચાયેલ ભવિષ્ય માલિકા ગ્રંથોમાં અત્યારની ભૌગોલિક અને રાજકીય સ્થિતિનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી સમય માનવજાત માટે પરિવર્તનકારી સાબિત થશે.

આ સંવાદ દરમિયાન ડૉ. કાશીનાથ મિશ્રાએ ભગવાન મહાવિષ્ણુના દશમા અવતાર એટલે કે કલ્કિ અવતારના પ્રાગટ્ય પાછળના સત્ય વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે ઉમેર્યું કે ગ્રંથોના સંકેતો મુજબ કળિયુગનો અંત નજીક છે અને ટૂંક સમયમાં જ વિશ્વમાં મોટા ફેરફારો જોવા મળશે. ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ અને વૈશ્વિક સંઘર્ષો અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં વિશ્વમાં અસ્થિરતા વધી શકે છે, પરંતુ આ કઠિન સમયના અંતે ભારત ‘વિશ્વગુરુ’ તરીકે ઉભરી આવશે. તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત સંઘર્ષ અને વિશ્વના 13 જેટલા દેશોની તેમાં સામેલગીરી અંગે પણ શાસ્ત્રોક્ત વિગતો રજૂ કરી હતી.
વધુમાં, ડૉ. મિશ્રાએ માનવજાત સામે આવી રહેલા આર્થિક અને પ્રાકૃતિક પડકારો વિશે ચેતવણી આપતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં મોંઘવારી અને કુદરતી આફતોમાં વધારો થવાની શક્યતા છે. જોકે, તેમણે આ કઠિન સમયમાંથી માર્ગ કાઢવા માટે આધ્યાત્મિક ઉકેલો અને માનવતાના માર્ગે ચાલવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. ભવિષ્ય માલિકાના વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદો અને તેના વૈશ્વિક સ્વીકાર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે આ જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ તેમને આવનારા સમય માટે જાગૃત કરવાનો છે.
